Monday, April 1, 2013

શેક્સપિયર બ્લેક માર્કેટિંગ કરતા હતા :અભ્યાસ


લંડન, તા. ૧
તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે,અંગ્રેજી સાહિત્યના પિતા ગણાતા નાટયકાર વિલિયમ શેક્સપિયર કરચોરી કરતા હતા અને બ્લેક માર્કેટિંગ સાથે સંકળાયેલા હતા. પોતાની પડતીના દિવસોમાં તેમણે ગેરકાયદે અનાજની જમાખોરી કરી હતી. એટલું જ નહિ, ટેક્સ ચોરીના આરોપમાં પણ જેલ જતાં જતાં બચ્યા હતા. વેલ્સમાં આવેલી ઓબરેટસ્ટવિથ યુનિર્વિસટીના રિસર્ચર્સ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ બધું જાણવા મળ્યું છે.
શેક્સપિયરના ચાહકોને ભલે અભ્યાસમાં બહાર આવેલાં તારણો ચોંકવાનારાં લાગે, પરંતુ અભ્યાસમાં સામેલ જેની આર્ચર કહે છે કે,શેક્સપિયરની નાટયકાર સિવાયની આ બીજી બાજુ હતી. તે એક ક્રૂર બિઝનેસમેન હતા, જે તેમનો ફાયદો વધારવા માટે બીજાના અધિકારોનો ભોગ લેતાં પણ ખચકાતા નહોતા. ટેક્સ બચાવવા અને નબળા લોકોનો લાભ પણ લેતા હતા. શેક્સપિયરને યુરોપમાં જ્યારે દુકાળની પરિસ્થિતિત હતી ત્યારે તેમનું નિર્દયી બિઝનેસમેન તરીકેનું સ્વરૃપ બહાર આવ્યું હતું.
શેક્સપિયરના ટેક્સ અને અન્ય દસ્તાવેજો મળ્યા
જેની આર્ચરે આ અભ્યાસ યુનિર્વિસટીમાં તેમના સાથી હોર્વર્ડ થોમસ અને રિચાર્ડ ટર્લે સાથે મળીને કર્યો છે. આ રિસર્ચ ટીમને શેક્સપિયરના ટેક્સ અને અન્ય દસ્તાવેજો કોર્ટમાંથી મળ્યા હતા, આ દસ્તાવેજોને લીધે તેમણે ઘણી વાર કોર્ટમાં જવું પડયું હતું. તેમણે ઘણી વાર અનાજ તથા ખાવાપીવાની વસ્તુઓ મેળવવા બદલ દંડ પણ ભરવો પડયો હતો. ઉપરાંત કરચોરી માટે જેલ જવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે તેઓ ૧૬૧૩માં નિવૃત્તિના સમયે તેમના હોમટાઉન,સ્ટ્રેટફોર્ટના સૌથી મોટા પ્રોપર્ટી ઓનર બની ગયા હતા.

No comments:

Post a Comment